દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે અમદાવાદીઓમાં દિવાળીને લઈ અનેરો ઉત્સાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ જોવા મળી રહ્યો છે અને બજારમાં લોકો ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. જોકે, અમદાવાદીઓ ગમે ત્યારે ફટાકડા નહીં ફોડી શકે.
જી હાં અમદાવાદીઓએ ફટાકડા ફોડવા માટે ચોક્કસ સમયનું પાલન કરવાનું રહેશે. અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે જે મુજબ અમદાવાદમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ રહેશે. જોકે, આવું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને ભાગ્યે જ તેનો અમલ થાય છે. પોલીસ કમિશનરે જારી કરેલા જાહરનામા અનુસાર ધ્વનિ પ્રદૂષણ નિયમો – 2000 અન્વયે ધ્વનિની માત્રાના ધોરણો નક્કી કરાયાં છે તેનું ચૂસ્તપણે પાલન જરૂરી છે.
દિવાળીમાં ફટાકડા ફૂટવાના કારણે અને નવરાત્રી તેમજ લગ્નપ્રસંગ અને મેળાવડાઓ દરમિયાન લાઉડસ્પીકર, ડ્રમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમના ઉપયોગથી ધ્વનિ પ્રદૂષણ ફેલાતું જોવા મળે છે. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ, વાહનોની અવરજવર તેમજ હોર્ન વગાડવાના કારણે તેમજ બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનોથી પણ ધ્વનિ પ્રદૂષણ ફેલાય છે. રાત્રિના 10થી સવારે 6 વાગ્યા સુધીના સમયગાળામાં હોર્ન, ધ્વનિ, પ્રદૂષણ પેદા કરતાં બાંધકામ અંગેના સાધનો તેમજ ફટાકડા ફોડવા તથા લાઉડસ્પીકર અને વાજિંત્રો વગાડવા ઉપર પ્રતિબંધ છે.
Leave a comment