રાજ્ય સરકારે સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નિમણૂક પામેલ શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે નવી બદલીની નીતિ જાહેર કરી છે, જેનો લાભ 2 વર્ષની સેવા પૂર્ણ કરનારા શિક્ષકો માટે લાગુ પડશે. આ બદલીઓ ઓનલાઈન સિસ્ટમ દ્વારા હાથ ધરાશે, જેનાથી પ્રાર્થનાપત્રો જિલ્લા કચેરીમાં સ્કૂલના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્વીકૃતિ બાદ કમિશનર કચેરીને મોકલાશે.
સરકારના આ નિયમ જાહેર થયા બાદ શિક્ષકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.
શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકે પોતાની મૂળ નિમણૂંકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશ્નર શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ/વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશ્નર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજુરી મળ્યેથી આખરી ઓનલાઇન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મૂજબ જિલ્લા ફેર-બદલીના હુકમો ઓનલાઇન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઇન અપલોડ કરવાની જોગવાઇ કરવામાં આવી છે.