ચરોતરનાં પાટીદારો વિદેશમાં જઈ મહેનત કરી પૈસા કમાવ્યા બાદ વતનને કયારેય ભુલતા નથી,અને વતનનાં ગામનાં વિકાસ માટે દાનની સરવાણીઓ વહેવડાવતા હોય છે,ત્યારે આણંદ જિલ્લાનાં બોરસદ પાસે આવેલા નિસરાયા ગામનાં અને અમેરિકામાં સ્થાઈ થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેકદાદાએ પોતાનાં વતન નિસરાયા ગામનાં વિકાસ તેમજ શાળાનાં નિર્માણ બાદ તેનાં સંચાલન માટે 100 કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું છે,અને આ ફિકસ ડીપોઝીટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે,100 કરોડની રકમનું દાન કરનાર તેઓ કદાચ સૌ પ્રથમ ગુજરાતી છે.આજે તેઓ પોતાનાં વતન ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું.
નિસરાયા ગામમાં શિક્ષણની સુવિધા ઉભી કરવા 85 વર્ષીય એનઆરઆઇ દાતા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેક દાદા શૈક્ષણિક સંકુલ નિર્માણ કરવા ઉપરાંત રૂા.100 કરોડની એફડી કરશે. જેનાથી સ્કૂલની નિભાવણી થઇ શકે. નિસરાયાના ગ્રામજનોના હિત માટે ઉદારતાથી સખાવત કરનાર ભામાશા મેક દાદા 65 વર્ષ બાદ પહેલી વાર વતનમાં આવતા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સામૈયું કરી સ્વાગત કરી સન્માન કર્યું હતું.
નિસરાયા ગામમાંથી 65 વર્ષ પહેલા અમેરિકા જઈને સ્થાયી થયેલા મહેન્દ્રભાઇ પટેલ ઉર્ફે મેક દાદા વતન નિસરાયાને સુવિધા સભર બનાવવા દાન કરતા આવ્યા છે. અગાઉ ગામમાં કોઇ મહત્વની જાહેરાત કરવા માટે સાઉન્ડ સિસ્ટમની સુવિધા કરી આપી હતી. ત્યાર બાદ ગામના વિશાળ ચોકનુ નેતાજી નામકરણ કરીને આકર્ષક અને સુવિધા સજ્જ બનાવવા યોગદાન આપ્યુ હતું. સારા નરસા પ્રસંગોમાં ગ્રામજનોને ઉપયોગી બને તે માટે સ્વર્ગસ્થ ધર્મ પત્નીના નામકરણ સાથે સાર્વજનિક ધર્મશાળા નિર્માણ કરવામાં આવી રહી છે. ગામના દરેક રસ્તાઓ જરૂરીયાત મુજબ આરસીસી કે બ્લોક વડે નવિનીકરણમાં સિંહફાળો આપ્યો છે શિક્ષણ પ્રત્યે અનેરો લગાવ ધરાવતા દાતાએ આર્થિક મુશ્કેલીના કારણોસર કોઈ શિક્ષણથી વંચિત ના રહે તે માટે મહેન્દ્રભાઇ પટેલે નિસરાયા ગામમાં શૈક્ષણિક સંકુલ નિર્માણ માટે સંકલ્પ કર્યો છે.જેનું તેમની હાજરીમાં ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું તેમજ . શૈક્ષણિક સંસ્થા શરૂ થયા બાદ તેના નિભાવ માટે રૂા.100 કરોડ જેટલી માતબર રકમની ડિપોઝિટ કરવામાં આવી છે અને આ ડિપોઝિટ પરના વ્યાજ આવક પરથી સંસ્થાનો નિભાવ ખર્ચની સરળ વ્યવસ્થા કરવામાં આવી છે.