આજે (15 નવેમ્બર) કારતક માસની પૂર્ણિમા છે. આ તહેવારને ત્રિપુરારી પૂર્ણિમા અને દેવ દીપાવલી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવદિવાળીનું વિશેષ મહત્ત્વ છે. કારતક સુદ પૂર્ણિમાએ દેવદિવાળીનો આ પર્વ ઉજવવામાં આવે છે.
આમ તો દિવાળી પર્વ ધનતેરસથી શરુ થાય છે અને ભાઈબીજે પૂરું થયું માનવામાં આવે છે, પરંતુ દિવાળીના થોડા દિવસ બાદ દેવ દિવાળી ઉજવવામાં આવે છે અને ત્યારબાદ જ દિવાળીનો તહેવાર પૂરો થયો માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવદિવાળીનું વિશેષ મહત્ત્વ છે. કારતક સુદ પૂર્ણિમાએ દેવદિવાળીનો આ પર્વ ઉજવવામાં આવે છે. એવામાં જાણીએ કે દેવ દિવાળી અને તેમાં દીપ દાનના મહત્ત્વ વિષે…
દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે?
દેવ દિવાળીનો પૌરાણિક સંદર્ભ ભગવાન શિવ અને ત્રિપુરાસુર વચ્ચેના સંઘર્ષ સાથે જોડાયેલો છે. દંતકથા અનુસાર, ત્રિપુરાસુર એ ત્રણ રાક્ષસોનું સામૂહિક નામ હતું – વિદ્યુન્માલી, તારકક્ષ અને વીર્યવાન, જેમને ભગવાન બ્રહ્મા તરફથી વરદાન મળ્યું હતું. આ રાક્ષસોએ ત્રણ અભેદ્ય શહેરો બાંધ્યા અને દેવતાઓ અને પૃથ્વીના લોકોને હેરાન કરવાનું શરૂ કર્યું. આથી તેના આતંકથી પરેશાન થઈને દેવો મદદ માંગવા મહાદેવ પાસે ગયા.
શિવજીએ દેવોની પ્રાર્થના સાંભળી ભગવાન શિવે ત્રિપુરારીનું રૂપ ધારણ કર્યું અને ત્રિપુરાસુર સાથે યુધ્ધ કર્યું અને કારતક સુદ પૂનમના દિવસે ત્રિપુરાસુર નામના અસુરનો વધ કર્યો. ત્રિપુરાસુરના વધથી બધા દેવી-દેવતાઓ ખુશ થયા અને કાશીમાં આવીને દીવા પ્રગટાવીને ઉજવણી કરી. શિવજીના વિજયનો જયઘોષ પણ થયો. તેથી, કાશીમાં દર વર્ષે, કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. તેમજ આથી જ ભગવાન શિવને “ત્રિપુરારી” તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ત્રણ રાક્ષસી નગરોનો નાશ કરનાર.