ભારતીય રાજકારણની સાથે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સુધારા માટે જાણીતા અને પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર લાલા લજપત રાયની આજે પુણ્યતિથિ છે. તેઓ ભારતના અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમને ‘પંજાબ કેસરી’ (Punjab Kesari) તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક જાણકારી જાણવી જરૂરી છે.
લાલા લજપત રાયનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ પંજાબના મોગા જિલ્લાના ધુડીકે ગામના અગ્રવાલ જૈન પરિવારમાં થયો હતો. તેમણે સ્કૂલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1880માં લાલા લજપત રાય લાહોરની સરકારી કોલેજમાં જોડાયા, જ્યાં તેઓ લાલા હંસરાજ અને પંડિત ગુરુ દત્ત જેવા દેશભક્તોના સંપર્કમાં આવ્યા હતા. કાયદાનો અભ્યાસ કર્યા બાદ તેમણે હિસારમાં વકીલાત શરૂ કરી હતી. આ સમય દરમિયાન તેઓ આર્યસમાજના સંપર્કમાં આવ્યા અને પછી 1885માં કોંગ્રેસની સ્થાપના સમયે તેઓ તેના મુખ્ય સભ્ય બન્યા. તેઓ હિસાર બાર કાઉન્સિલના સંસ્થાપક સભ્ય બન્યા હતા. એ જ વર્ષે તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હિસાર જિલ્લા શાખાની પણ સ્થાપના કરી હતી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગરમ દળના અગ્રણી નેતા હતા. 1914 બાદ તેમણે વકિલાત છોડી દીધી અને રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા હતા. લાલા લજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથેની આ ત્રિમૂર્તિ લાલ-બાલ-પાલ તરીકે જાણીતી હતી. આ ત્રણેય નેતાઓએ પહેલા ભારતમાં સંપૂર્ણ આઝાદીની માંગ કરી, પછી આખો દેશ તેમની સાથે જોડાયો.
લાલા લજપત રાયે સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મળીને તેમણે પંજાબમાં ‘આર્ય સમાજ’ને લોકપ્રિય બનાવ્યું. લાલા હંસરાજ અને કલ્યાણ ચંદ્ર દીક્ષિત સાથે, દયાનંદે એંગ્લો-વૈદિક શાળાઓનો પ્રચાર કર્યો, જે હવે DAV શાળાઓ અને કોલેજો તરીકે ઓળખાય છે. દુષ્કાળમાં પણ લાલાજીએ અનેક જગ્યાએ કેમ્પ લગાવીને લોકોની સેવા કરી હતી. એટલુંજ નહીં તેમણે હિન્દુ સમાજની કુરિવાજો હટાવવા માટે પ્રયાસ કર્યા જેમાં તેમણે વેદોના મહત્વ વિશે ખાસ પ્રચાર કર્યો.
લાઠીચાર્જ દરમિયાન થયા ગંભીર રીતે ઘાયલ
લાલા લાજપત રાયએ 1928માં લાહોરમાં સાઇમન કમીશનનો વિરોધ કર્યો જે દરમિયાન લાઠીચાર્જ થતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. તે સમયે તેણે કહ્યું હતું કે, ‘મારા પર પડેલી દરેક લાકડી બ્રિટિશ સરકારના શબપેટીમાં ખીલાનું કામ કરશે.’ અને તે હતું; લાલાજીના બલિદાન પછી 20 વર્ષમાં બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત થયો. લાઠીચાર્જમાં થયેલી આ ઇજાઓને કારણે 17 નવેમ્બર 1928ના રોજ તેમનું અવસાન થયું હતું.
ક્રાંતિકારીઓએ લાલાજીના મોતનો બદલો લીધો
લાલા લજપત રાયના મૃત્યુથી સમગ્ર રાષ્ટ્રમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લાલાજીના મોતના સમાચાર સામે આવતા જ ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને અન્ય ક્રાંતિકારીઓએ લાલાજી પર થયેલા ખૂની લાઠીચાર્જનો બદલો લેવાનું નક્કી કર્યું. 17 ડિસેમ્બર 1928ના રોજ બ્રિટિશ પોલીસ ઓફિસર સોન્ડર્સને તેમની પ્રતિજ્ઞા પૂર્ણ કર્યા બાદ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહને માત્ર લાલાજીના મૃત્યુના બદલામાં સોન્ડર્સની હત્યા કરવા બદલ ફાંસીની સજા આપવામાં આવી હતી.