કોરોના વાયરસે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. કોરોના વાયરસના કારણે ઘણા દેશોમાં લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું હતું. આ વાયરસના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હતા જ્યારે તેના સંક્રમણમાં આવ્યા હતા. ત્યારે હવે કોરોના વાયરસને લઈ એક મોટું રિસર્ચ સામે આવ્યું છે. કેટલાક ડોકટરોને લાગે છે કે કોવિડ વાયરસ કેન્સરની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હકીકતમાં, ઘણા કેન્સર દર્દીઓમાં કોવિડ થયા પછી, તેમની ગાંઠોનું કદ ઘટ્યું. ડૉક્ટરો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેમણે એક અભ્યાસ કર્યો, જેના પરિણામોએ સંશોધકોને આશા જન્માવી છે. નોર્થવેસ્ટર્ન મેડિસિન કેનિંગ થોરાસિક ઈન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું કે, જે લોકો કોરોના વાયરસને કારણે ખૂબ બીમાર થઈ ગયા હતા તેમની કેન્સરની ગાંઠો સંકોચાઈ હતી અથવા ધીમે ધીમે વધી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 વાયરસનો આરએનએ એક અનન્ય રોગપ્રતિકારક કોષ બનાવે છે જે કેન્સર સામે લડી શકે છે. આ કોષો ગાંઠની અંદરના કેન્સરના કોષોને મારી શકે છે. સંશોધનમાં સામેલ ડોક્ટરોના જણાવ્યા મુજબ, આશ્ચર્યજનક વાત એ છે કે આખી દુનિયામાં જે ઈન્ફેક્શને તબાહી મચાવી છે તે કેન્સર સામે લડવામાં મદદ કરી શકે છે. એટલુ જ નહીં તેનો ઉપયોગ એવી દવા બનાવવા માટે થઈ શકે છે જે એડવાન્સ કેન્સરમાં મદદ કરશે.