ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થશે. પરંતુ આ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. તેનું કારણ ઈસ્લામાબાદમાં ચાલી રહેલ રાજકીય વિરોધ છે. તેની અસર સીધી ક્રિકેટ પર જોવા મળી રહી છે. પાકિસ્તાન શાહીન અને શ્રીલંકા A વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. 3 મેચની ODI શ્રેણીની છેલ્લી 2 મેચો રદ કરવામાં આવી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન અને વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની રાજકીય પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના સમર્થકો દ્વારા ભારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કારણે શ્રીલંકા – Aના પાકિસ્તાન પ્રવાસની બાકીની મેચો અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, પીસીબીએ પાકિસ્તાન શાહીન્સ અને શ્રીલંકા A વચ્ચેની છેલ્લી બે 50 ઓવરની મેચ સ્થગિત કરી દીધી છે. રદ કરાયેલી મેચો બુધવાર અને શુક્રવારે રાવલપિંડીમાં રમાવાની હતી. પાકિસ્તાન શાહીન્સ અને શ્રીલંકા A ટીમો વચ્ચે સોમવારે ઇસ્લામાબાદમાં છેલ્લી મેચ રમાઇ હતી, જેમાં પાકિસ્તાને શ્રીલંકા A ને 108 રનથી હરાવ્યું હતું. હવે બંને ટીમો વચ્ચે સીરિઝની છેલ્લી બે મેચ રમવાની બાકી હતી. પીસીબીએ કહ્યું કે શ્રેણીની બાકીની મેચો માટે નવું શિડ્યૂલ તૈયાર કરવામાં આવશે, જેના માટે બંને બોર્ડ સાથે મળીને કામ કરશે.