કેન્દ્રીય ગૃહ મંત્રાલય જમ્મુ ક્ષેત્રમાં વધી રહેલી આતંકવાદી ઘટનાઓનો સામનો કરવા માટે જમ્મુ શહેરમાં એનએસજીનું હબ સ્થાપિત કરવા જઈ રહ્યું છે. મતલબ કે નેશનલ સિક્યૂરિટી ગાર્ડના બહાદુર જવાનો હવે આતંકના યુગનો અંત લાવશે અને આ માટે તેમને અન્ય રાજ્યમાંથી બોલાવવાની જરૂર નહીં રહે. એનએસજીના ત્રણથી ચાર કમ્પોનેન્ટ હંમેશા આ કેન્દ્રમાં તહેનાત રહેશે. એનએસજીએ જમ્મુના વિવિધ ભાગોમાં તેમજ બહારના વિસ્તારોમાં બહુમાળી ઇમારતો, સુરક્ષા સંસ્થાઓ અને સંવેદનશીલ જાહેર સ્થળોનું સુરક્ષા ઓડિટ કરીને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તેનો કાર્ય યોજના પણ તૈયાર કરી છે.અધિકારીઓના જણાવ્યાનુસાર, ‘છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુમાં આતંકવાદી ગતિવિધિઓ વધી છે. ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ શહેરની અંદર આતંકીઓ દ્વારા મોટા હુમલાની શક્યતા પણ વ્યક્ત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુપ્તચર એજન્સીઓના અહેવાલના આધારે જમ્મુમાં એનએસજીના સ્થાયી મંજૂરી આપી છે. એનએસજીના જવાનોનું એક જૂથ હવે કાયમી ધોરણે જમ્મુમાં હાજર રહેશે.’