અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરો ભાગ લેશે. આ ભવ્ય ઉજવણી દરમિયાન શહેરમાં વાહનોને અવરજવરમાં સરળતા રહે તે માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કયા રોડ બંધ રહેશે અને ક્યા વૈકલ્પિક રસ્તા છે તેને લઈને જાણકારી આપી છે.
કાર્યક્રમના આયોજનના પગલે અમદાવાદ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં સાબરમતી જનપથ ટીથી મોટેરા ચાર રસ્તા સુધીનો રસ્તો સવારે 9 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.એસપી રિંગ રોડના નાના ચિલોડાથી અપોલો સર્કલ બાજુના રોડ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં એક લાખથી વધુ હરિભક્તો આવવાના હોવાથી સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે. અમદાવાદ ટ્રાફિક પોલીસનું જાહેરનામું પ્રમાણે, સાબરતમી જનપથથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ, કૃપા રેસિડેન્સી, મોટેરા સુધીનો રોડ અવરજવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જ્યારે નાના ચિલોડાથી અપોલો સર્કલ સુધીનો માર્ગ ભારે વાહનોની અવરજવર માટે બંધ રહેશે.વૈકલ્પિક રૂટમાં તપોવન સર્કલથી ONGC ચાર રસ્તાથી વિસત, સાબરમતી જનપથ, પાવર ચાર રસ્તા, પ્રબોધ રાવળ સર્કલ સુધીનો માર્ગ પરિવહન માટે શરૂ રહેશે. જ્યારે ઓઢવ તરફથી દહેગામ રિંગ રોડથી આવતા ભારે વાહનો નાના ચિલોડા રિંગ રોડ સર્કલથી મોટા ચિલોડા તરફના રસ્તે જઈ શકશે. આ સાથે કૃપા રેસિડેન્સી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા, ભાટ કોટેશ્વર રોડ, અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.