અમદાવાદ શહેરમાં મેટ્રો (Metro) માં મુસાફરી કરતા લોકોને મોટી રાહત થાય તેવા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમય બાદ થલતેજ ગામ મેટ્રો સ્ટેશન (Metro Station) નું કામ પૂર્ણ થતાં હવે થલતેજ ગામ સુધી મેટ્રો રૂટને લંબાવવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 8 ડિસેમ્બરથી વસ્ત્રાલ – થલતેજ વચ્ચે દોડતી મેટ્રો છેક થલતેજ ગામ સુધી જશે. અત્યાર સુધી આ રૂટ પરની મેટ્રો થલતેજ ચાર રસ્તાથી વસ્ત્રાલ જતી હતી જેને કારણે થલતેજ ગામમાંથી અને થલતેજ ગામ સુધી અપડાઉન કરતા લોકોને એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા પર બનેલા સ્ટેશનેથી બેસવું પડતું હતું અને ત્યાં જ ઉતરવું પડતું હતું. પરંતુ હવે જેઓ થલતેજ ગામ સુધી જવા માગે છે તેમને કાલથી આ સુવિધા ઉપલબ્ધ થશે. થલતેજ ગામથી પ્રથમ ટ્રેન સવારે 6.20 કલાકે ઉપડશે. આ સાથે છેલ્લી ટ્રેન વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી અનુક્રમે રાતે 8.00 અને 8.05એ રહેશે.