અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 7 ડિસેમ્બરના રોજ BAPS સંસ્થા દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ જેવો રહ્યો. જેમાં એક લાખ જેટલા કાર્યકરોએ હાજરી આપી હતી. આ મહોત્સવમાં આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં અસાધારણ સેવાકીય પ્રવૃતિ કરનારા BAPSના એક લાખ કાર્યકરોનું સમ્માન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહ્યા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા અને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આકર્ષક રંગબેરંગી આકર્ષક લાઈટિંગ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ વિશિષ્ટ રથમાં મહંત સ્વામી મહારાજનું આગમન થયું, ત્યારે અદ્દભૂત માહોલ રચાયો હતો. કાર્યકર સુવર્ણ મહોત્સવનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ સ્ટેડિયમમાં લોકોની ખુરશી પર ખાસ પ્રકારના LED બેન્ડ મૂકવામાં આવ્યા હતા. તમામ હરિભક્તોએ આ પ્રિ-પ્રોગ્રામ બેન્ડ પોતાના હાથમાં પહેર્યા બાદ પ્રસ્તુતિ દરમિયાન આખુ સ્ટેડિયમ રંગબેરંગી રોશનીઝી ઝળહળી ઉઠ્યું હતુ. સ્ટેડિયમમાં ઉપસ્થિત હરિભક્તોએ પહેરેલા આ બેન્ડમાંથી વિવિધ પ્રકારની લાઈટો થતી હતી. રંગબેરંગી લાઈટિંગથી દિવ્ય મહોત્સવ ઝળહળી ઉઠ્યો હતો. તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહંત સ્વામી મહારાજ સાથે ભવ્ય આરતી પણ ઉતારી હતી, જ્યારે કાર્યક્રમના અંતે ભવ્ય આતાશબાજી કરવામાં આવી હતી.