રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો તરફથી એકબીજા પર હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. જો કે આ દરમિયાન રશિયાએ ભારતને ગાઈડેડ મિસાઈલથી સજ્જ INS-તુશિલ સોંપ્યું છે. આધુનિક મલ્ટી-રોલ સ્ટીલ્થ-ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ ‘INS તુશીલ’ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ યુદ્ધ જહાજ રશિયાના તટીય શહેર કાલિનિનગ્રાડમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને એડમિરલ દિનેશ ત્રિપાઠીની હાજરીમાં ભારતને આપવામાં આવ્યું હતું. INS તુશીલ ઘણા આધુનિક હથિયારોથી સજ્જ છે. જેમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ, હાઈ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ અને એન્ટી એરક્રાફ્ટ ગનનો સમાવેશ થાય છે. આ સિવાય આ યુદ્ધ જહાજમાં નિયંત્રિત ક્લોઝ-રેન્જ રેપિડ ફાયર ગન સિસ્ટમ, સબમરીન-કિલિંગ ટોર્પિડો સહિત ઘણા અદ્યતન રોકેટ છે. યુદ્ધ જહાજની ડિઝાઇન તેને રડાર ચોરી ક્ષમતા અને વધુ સારી સ્થિરતા આપે છે.
મહત્વનું છે કે, રશિયામાં બનાવવામાં આવી રહેલા બે યુદ્ધ જહાજો ઉપરાંત ભારતમાં વધુ બે જહાજ બનાવવામાં આવી રહ્યા છે. આ ગોવા શિપયાર્ડમાં બને તેવી શક્યતા છે.આ યુદ્ધ જહાજોમાં ઉપયોગમાં લેવાતા પ્રાથમિક એન્જિન યુક્રેનમાં બનેલા છે. ભારતીય નેવીના કાફલામાં મોટાભાગના જહાજો ગેસ ટર્બાઇન એન્જિનનો ઉપયોગ કરે છે, જે યુક્રેનિયન કંપની ઝોરિયા-માશપ્રોક્ટ દ્વારા બનાવે છે. આ કંપની મરીન ગેસ ટર્બાઇનના ઉત્પાદનમાં વિશ્વની ટોચની કંપનીમાં સ્થાન ધરાવે છે.
ભારત પાસે છે હાલ આવા 6 યુદ્ધ જહાજો
ભારતે વર્ષ 2016માં રશિયા સાથે બે યુદ્ધ જહાજ માટે કરાર કર્યા હતા. ફ્રિગેટ INS તુશીલ તેમાંથી એક છે. INS તુશીલ ક્રિવાક III-ક્લાસ ફ્રિગેટ, જે આધુનિક સ્ટીલ્થ મિસાઇલ ફ્રિગેટ છે. ભારત પાસે હાલમાં આવા 6 યુદ્ધ જહાજો છે અને તે બધા રશિયામાં બનાવવામાં આવ્યા છે.