તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદમાં કોર્ટના આદેશથી સર્વે હાથ ધરાયો હતો જેના કારણે હિંસા ફાટી નીકળી હતી, આ સંભલ જિલ્લાના ખગ્ગુસરાયમાં ૪૬ વર્ષ બાદ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ડીએમ-એસપીના અભિયાન દરમિયાન સામે આવ્યું કે આ વિસ્તારમાં એક મંદિર વર્ષોથી બંધ હતું. હિંસા બાદ આ મંદિરને બંધ કરાયું હતું, જેને અંતે સ્થાનિકોની રજુઆત બાદ ખોલવામાં આવ્યું હતું. હિંસાગ્રસ્ત વિસ્તારમાં ભસ્મ શંકર મંદિરને ૧૯૭૮ની હિંસા બાદ બંધ કરી દેવાયું હતું, હવે તેને ખોલવામાં આવ્યું છે. મંદિરમાં હનુમાનની મૂર્તી અને શિવલિંગ પણ મળી આવ્યું હતું, જેસીબીથી ખોદકામ દરમિયાન કૂવો પણ મળી આવ્યો હતો. ત્યારબાદ મંદિરની સાફસફાઈ પણ કરવામાં આવી હતી અને વહેલી સવારે પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.