બંધારણના 75 વર્ષ પૂરા થવા પર રાજ્યસભાની ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે યુનિફોર્મ સિવિલ કોડને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા માટેની ભાજપની પ્રતિબદ્ધતાને સમર્થન આપતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, “ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે.”
મળતી માહિતી મુજબ, તેમણે કહ્યું હતું કે ભાજપ ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવી છે અને સમગ્ર દેશના તમામ રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું હતું કે છેલ્લા ૭૫ વર્ષથી કોંગ્રેસ બંધારણના નામે છળકપટ કરી રહી છે. ગાંધી અને નેહરુ પરિવાર કોંગ્રેસને જ નહીં બંધારણને પણ પોતાની ખાનગી જાગીર માને છે. કોંગ્રેસે પક્ષ શાસિત બે રાજ્યોમાં ધર્મ આધારિત અનામતનો અમલ કર્યો છે અને મુસ્લિમોને અનામત આપી છે જે ગેરબંધારણીય છે. બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ધર્મના આધારે અનામત ના આપી શકાય.