શું બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય બીજે ક્યાંય જીવન છે? અને જો હોય તો કેવું છે? – વૈજ્ઞાનિકો માટે આ અત્યાર સુધીના સૌથી મોટા પ્રશ્નો છે.વૈજ્ઞાનિકો પાછલા ઘણા દાયકાથી આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરે છે.એલિયન એક એવો કોયડો છે, જેને લઈને દાવા તો અનેક કરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે હવે જે હકીકત સામે આવી છે, તેણે ફરી એકવાર એવી ચર્ચા જગાવી છે કે હજારો વર્ષો પહેલા એલિયન્સના પૃથ્વી પર આંટાફેરા હતા.
હકીકતમાં, કુવૈતમાં સાત હજાર વર્ષ જૂની માટીની પ્રતિમા મળી આવી છે. જેનો દેખાવ એલિયન જેવો લાગે છે. હવે સવાલ એ થાય છે કે શું એ સમયે એલિયન્સ આવતા હતા અને તેમના દેખાવને જોઈને કોઈ માનવીએ તેમના જેવી આ પ્રતિમા બનાવી હતી. જો કે આ અલૌકિક દેખાતી પ્રતિમા છે, પરંતુ આવી મૂર્તિઓ મેસોપોટેમીયામાં પણ જોવા મળી હતી.
પુરાતત્વવિદોનું માનવું છે કે, ભલે આ મૂર્તિ આશ્ચર્યજનક લાગે, પરંતુ આ શૈલી પ્રાચીન મેસોપોટેમીયામાં સામાન્ય હતી. જો કે, કુવૈત અને આરબની ખાડીમાં મળી આવેલી આ પ્રકારની આ પહેલી મૂર્તિ છે. ઉત્તર કુવૈતના પ્રાગઐતિહાસિક સ્થળ એવા બાહરા-1માં કુવૈત અને પોલેન્ડના પુરાતત્વવિદોની એક સંયુક્ત ટીમ 2009થી ખોદકામ કરી રહી હતી. આ અરબી દ્વીપકલ્પની સૌથી જૂની વસાહતમાંની એક હતી, જે ઈ.સ.પૂર્વે 5000 કે 5500 વર્ષો જૂની છે. જ્યાં એક મૂર્તિ મળી છે, જેની ત્રાંસી આંખો, સપાટ નાક અને લાંબી ખોપડી છે.
બાહરા-1 ખાતે ખાણકામ કરનાર પુરાતત્ત્વવિદ્ અગ્નિએસ્કા શિમઝૈક કહે છે કે આ લગભગ 7000 વર્ષ જૂનું છે. આ સમુદાયો વચ્ચેના પરસ્પર આદાનપ્રદાનને કારણે તેમની સંસ્કૃતિ પણ ભળતી ગઈ. પછી સાંસ્કૃતિક પરિવર્તન આવ્યું. શિમઝૈકે કહ્યું કે આ જગ્યાએથી દોઢ હજાર પ્રાચીન વસ્તુઓ મળી આવી છે પરંતુ આ એક અલગ અને અનોખી છે. તે મેસોપોટેમીયન માટીથી બનેલું છે. ઉબેદ સમુદાયના લોકોની મૂર્તિઓમાં, ગરોળીનું માથું, પક્ષીનું માથું અથવા સાપનું માથું ધરાવતી મૂર્તિઓ ઘણીવાર જોવા મળે છે. પરંતુ પહેલીવાર એલિયન આકારની મૂર્તિ જોઈને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.