પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા બાદ તેમની તબિયત બગડતાં તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા મનમોહન સિંહનું ગુરુવારે મોડી રાત્રે નિધન થતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કોંગ્રેસ, ભાજપ સહિતની પાર્ટીના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના નિધનના પગલે દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ કોંગ્રેસે આજે તેના તમામ કાર્યક્રમો પણ રદ કર્યા છે. મહત્વનું છે કે, તેઓ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા અને મે 2014 સુધી આ પદ પર બે વખત સેવા આપી. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન હતા.