નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું આગામી એપ્રિલમાં ઉદઘાટન કરાશે, જે પછી મે 2025માં કોમર્શિયલ કામગીરી શરૂ કરશે, આ અંગેની માહિતી નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપવામાં આવી હતી. ઇન્ડિગો એરલાઇન્સનું A320 એરક્રાફ્ટ માન્યતા પરીક્ષણ દરમિયાન રનવે પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું. આ સફળ પરીક્ષણ બાદ હવે બાકીની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ એપ્રિલ 2025 સુધીમાં અહીંથી ફ્લાઈટ્સ શરૂ થશે. માનવામાં આવી રહ્યું છે કે, 17 એપ્રિલે નવી મુંબઈ એરપોર્ટથી પ્રથમ ફ્લાઈટ ઉડાન ભરશે.
આ એરપોર્ટ શરૂ થવાથી મુંબઈ એરપોર્ટ પરનું દબાણ ઘટશે અને નવી મુંબઈ એરપોર્ટ શરૂ થવાથી આસપાસના વિસ્તારોમાં વિકાસને વેગ મળશે. આ એરપોર્ટના ઉદઘાટન પહેલા અટલ સેતુની શરૂઆત કરવામાં આવી હતી. જેથી કરીને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરતા લોકો ઓછા સમયમાં મુંબઈ પહોંચી શકે. આજે આ પ્રસંગે સિડકો અને NMIALના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, આ એરપોર્ટનું નિર્માણ કાર્ય ઓગસ્ટ 2021માં કોરોના મહામારી દરમિયાન શરૂ થયું હતું અને તે 2025ની શરૂઆતમાં શરૂ થવાનું છે. અદાણી ગ્રુપના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટના વિકાસમાં આને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું બાંધકામ ઓગસ્ટ 2021 માં કોરોના રોગચાળા દરમિયાન શરૂ થયું હતું, જે હવે 2025 માં શરૂ થશે.