19 એપ્રિલ 1975નો દિવસ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ઈસરોએ પોતાનો પહેલો ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ સફળતાપૂર્વક અવકાશમાં લોન્ચ કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું હતું. આ સિદ્ધિ હાંસલ કરવામાં મહાન વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈની ભૂમિકા અમૂલ્ય હતી. ડૉ. વિક્રમ સારાભાઈ. ભારતના આ મહાન વિજ્ઞાનીનું નામ ભારતીયો માટે અજાણ્યું નથી. આજે, એમની પુણ્યતિથિ છે. દેશના દિગ્ગજ નેતાઓ તેમજ વૈજ્ઞાનિકોએ આજના દિવસે તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે ચાલો યાદ કરીએ એ મહાન હસ્તીને જેમણે પોતાની પ્રતિભાથી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કર્યું.
અમદાવાદમાં જૈન પરિવારમાં થયો જન્મ
આજે ભારત (India)ની વૈજ્ઞાનિક પ્રગતિની વાત કરીએ ત્યારે ઈસરો (ISRO)નો ઉલ્લેખ અનિવાર્ય બને છે. છેલ્લા ઘણા દાયકાઓથી ઈસરોએ એવી સિદ્ધિઓ મેળવી છે જે દુનિયાના કોઈ દેશે નથી મેળવી. પરંતુ ISRO જેવી સંસ્થાની કલ્પના તેના સ્થાપક અને ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ (Vikram Sarabhai)એ એની સ્થાપનાના ઘણાં વર્ષો પહેલા કરી લીધી હતી. વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં એક જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ મોટા ઉદ્યોગપતિ હતા અને ભારતની આઝાદીના ચળવળમાં તેમણે હિસ્સો લીધો હતો. વિક્રમ સારાભાઈએ પ્રારંભિક અભ્યાસ ભારતમાં કર્યો હતો. બાદમાં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જોન્સ કોલેજમાં અભ્યાસ કરવા ગયા, જ્યાંથી તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી. અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવા માટે તેમણે ઘણા વર્ષો પહેલા પ્રયાસો શરૂ કર્યા હતા અને તેમના નેતૃત્વમાં દેશનું પ્રથમ રોકેટ નવેમ્બર 1963માં કેરળના થુમ્બા ગામમાંથી છોડવામાં આવ્યું હતું. આ પ્રયાસોને કારણે તેમને ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતામહ માનવામાં આવે છે.
IIM અમદાવાદની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા
ડૉ. વિક્રમ સારાભાઈએ ઈસરોથી લઈને આઈઆઈએમ, અમદાવાદની સ્થાપના સુધી મહત્વની ભૂમિકા ભજવી હતી.વિજ્ઞાનના ક્ષેત્રમાં તેમના અપ્રતિમ પ્રદાન બદલ તેમને 1966માં પદ્મ ભૂષણ અને 1972માં પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવ્યા હતા.નવેમ્બર 1947માં અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)ની સ્થાપના કરી હતી. આ લેબોરેટરી શરૂઆતમાં પીઆરએલ સંશોધન પર જ કામ કરતી હતી, પણ પાછળથી વિક્રમ સારાભાઈના પ્રયત્નોને કારણે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)નો પાયો નાખવામાં આવ્યો હતો. તેમણે ભારતનો પહેલો ઉપગ્રહ બનાવવાની કોશિશ ખૂબ પહેલા જ શરૂ કરી દીધી હતી. કોસ્મિક કિરણો અને ઉપરના વાતાવરણ પરનું તેમનું સંશોધન આજે પણ એક સીમાચિહ્નરૂપ છે.આપને જણાવી દઈએ કે,સારાભાઈના લગ્ન ક્લાસિકલ ડાન્સર મૃણાલિની સ્વામીનાથન સાથે થયા હતા.તેમના દીકરી મલ્લિકા સારાભાઈ પણ ક્લાસિકલ ડાન્સર અને અભિનેત્રી છે. તેમના પુત્ર કાર્તિકેય સારાભાઈ પર્યાવરણીય શિક્ષક છે. સારાભાઈના પત્ની અને પુત્રીને પદ્મભૂષણ તથા પુત્રને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1971માં આ મહાન વૈજ્ઞાનિકનું માત્ર 52 વર્ષની વયે અવસાન થયું હતું.