રાજ્યમાં લાંબા સમયથી પોલીસ ભરતીની પરીક્ષાની રાહ જોઇ રહેલા ઉમેદવારો માટે રાહતરૂપ જાહેરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરાઇ છે. જેમાં પીએસઆઇ અને લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી 8 જાન્યુઆરીથી 1 માર્ચ-2025 સુધી યોજવામાં આવશે. ઉમેદવારો માટે અમદાવાદ, ગાંધીનગર સહિત ઝોન વાઇઝ શારીરિક પરીક્ષા માટેના ગ્રાઉન્ડ પણ જાહેર કરાયા છે. કુલ 6.60 લાખ જેટલા ઉમેદવારોએ પોલીસની આ ભરતી માટે ફોર્મ ભર્યા છે.
મહત્વનું છે કે, અમદાવાદ, જૂનાગઢ, નડિયાદ, ગોંડલ, સુરત, મહેસાણા, ગોધરા, ખેડા, હિંમતનગર, ભરૂચ અને જામનગર ખાતે પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી માટે દોડ યોજાશે. જે પાંચ હજાર મીટરની રહેશે. મહિલા ઉમેદવારો અને માજી સૈનિકો માટે જે.ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ-અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરા ખાતે દોડની પરીક્ષા યોજાશે. જે 1600 મીટરની રહેશે. ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી માટે ડીસીપી-એસપી કક્ષાના અધિકારીની નિમણૂક કરાશે. અન્ય એજન્સીને પણ કસોટી માટે કામગીરી સોંપાઇ છે તે સહિતના સ્ટાફને 3 જાન્યુઆરીએ હાજર થવા જણાવાયું છે. ઉમેદવારોની કેટલીક ભરતી પરીક્ષાઓમાં ઉમેદવારોને દોડ દરમિયાન પડી જવાના કે બીમાર થવાના કિસ્સા બહાર આવ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ડોક્ટરની ટીમને સ્ટ્રેચર સાથેની એમ્બ્યુલન્સ વાન કે 108ને ગ્રાઉન્ડ ખાતે હાજર રખાશે.