વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લેશે તેવી અટકળો લગાવાઈ રહી છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના પ્રદર્શનને લઈને ક્રિકેટ ચાહકો ખૂબ નારાજ છે. 5 ટેસ્ટ મેચની ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલા ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે પરાજય થયો હતો. સીરિઝ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલીનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું.રોહિત શર્મા બાળકના જન્મને કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ રમી શક્યો ન હતો. તેણે પૂરી સીરિઝ દરમિયાન 3 મેચમાં માત્ર 31 રન બનાવ્યા છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટીમમાં રોહિત શર્માના સ્થાન અંગે ચિંતા વ્યક્ત કરી છે. પઠાણનું માનવું છે કે ટીમમાં રોહિતનું સ્થાન તેની કેપ્ટનશીપને કારણે છે, તેના બેટિંગ પ્રદર્શનને કારણે નથી. ઇરફાન પઠાણના જણાવ્યા મુજબ, રોહિત અત્યારે જે રીતે હાલમાં સંઘર્ષ કરી રહ્યો છે, તેને જોતા લાગે છે કે તેનું ફોર્મ તેને સાથ નથી આપી રહ્યું.. તેણે વધુમાં જણાવ્યું કે, જો તે કેપ્ટન ન હોત તો કદાચ અત્યારે તે રમી શક્યો ન હોત.