હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શિયાળો બરાબર જામ્યો છે અને ઠંડા પવન સાથે કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જોકે શિયાળાની શરૂઆત થતાની સાથે જ ઘણા લોકોને કફ અને શરદીની સમસ્યા રહેતી હોય છે. બદલાતી ઋતુમાં સૂકી ઉધરસ થવી ખૂબ જ સામાન્ય બાબત છે. ખોરાકમાં થોડી બેદરકારીના કારણે આ સમસ્યા થઇ શકે છે. હવે શિયાળાની ઋતુ પણ શરૂ થઈ ગઈ છે, આવી સ્થિતિમાં સૂકી ખાંસી થવી સામાન્ય છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપચાર વિશે જણાવીશું, જેને અપનાવીને આપ સૂકી ખાંસીથી પણ છુટકારો મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે.
મીઠાવાળા પાણીના કોગળા તમને ખૂબ મદદરૂપ થઈ શકે છે. આવું કરવાથી તમને ઉધરસમાં પણ રાહત મળશે. નવશેકા ગરમ પાણીમાં 1/4 થી 1/2 ચમચી મીઠું મિક્સ કરી તેના કોગળા કરવાથી ગળાનો સોજો દૂર થાય છે અને ઉધરસમાં પણ રાહત મળે છે.
જો તમને સૂકી ઉધરસ થાય છે, તો તરત જ બે ચમચી મધમાં અડધી ચમચી જેઠીમધનું ચૂર્ણ ભેળવીને ધીમે-ધીમે ચાટીને ખાઓ, આમ કરવાથી આપને સૂકી ઉધરસમાં તરત જ રાહત મળશે. આ પ્રયોગ જમ્યા બાદ કરવો.
સૂકી ઉધરસમાં ગરમ પાણીમાં મધ ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે. ઉપરાંત ગરમ દૂધમાં સૂંઠનો પાઉડર ઉમેરીને પીવાથી પણ રાહત મળે છે.
હળદર વાળું દૂધ એન્ટી બેક્ટેરિયલ ગુણથી ભરપૂર હોય છે. તેમાં રહેલા તત્વ બોડીને ડીટોક્ષ કરવાનું કામ પણ કરે છે અને વાયરલ રોગોથી શરીરનું રક્ષણ કરે છે. તેનાથી ઇમ્યુન સિસ્ટમ પણ મજબૂત થાય છે. ઠંડીમાં જો તમે હળદર વાળું દૂધ પીવાનું રાખશો તો તેનાથી શરદી ઉધરસ થી રાહત મળી જશે.
આદુના રસમાં સમાન માત્રામાં મધ મિક્સ કરો. દિવસમાં બે વખત આદુનો રસ અને મધ લેવાથી શરદી ઉધરસ અને કફ જેવી સમસ્યાથી તુરંત રાહત મળે છે.
ખાસ નોંધ : અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.