ગુજરાત અને દેશના લાખો-કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું પ્રતીક અંબાજી, જેમનાં મંદિર દર્શને રોજ સેંકડો લોકો આવે છે. શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 32મા વર્ષે મા અંબેના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજીમાતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમગ્ર અંબાજી નગરજનો સહિત વિશ્વભરના મા અંબેના ભક્તોના સહયોગથી પરંપરાગત રીતે મા અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાશે. યાત્રાધામ અંબાજીમાં 13મી જાન્યુઆરીએ પોષી પૂનમે મા અંબાના પ્રાગટય દિને ધામક ઉત્સવ સેવા સમિતિ દ્વારા 32મા વર્ષે ધામધૂમથી ઉજવણી કરાશે. નગરજનો સહિત વિશ્વ ભરના માઈ ભક્તો આરાધ્ય દેવીના દર્શનાર્થે ભક્તિમય રીતે જોડાશે. આ ઉપરાંત અંબાજી નગરના માર્ગો પર ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ મા જગતજનની અંબા નગરયાત્રાએ નીકળશે.
મળતી માહિતી મુજબ, પોષી પૂનમની ઉજવણીમાં 13મી જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લવાશે. ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવશે. ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. આપેશ્વર મહાદેવ ખાતે રબારી સમાજ દ્વારા જ્યોતનું સામૈયું અને ઓવારણાં લેવામાં આવનાર છે. ગબ્બરથી લાવેલ જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવે છે. અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે મહાઆરતી કરવામાં આવશે. બાદમાં ગજરાજ પર આરૂઢ થઈ મા અંબાની નગરયાત્રાએ નીકળી માઈભક્તોને દર્શન આપશે. ભાદરવી પૂનમ જેવા મહામેળા જેવી લાખોની ભાવિક ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઊમટી પડે છે.
અંબાજી મંદિર ચાચર ચોકમાં ચૌદશ અને પૂનમ એમ બે રાત્રીએ એટલે કે 12મી અને 13મી જાન્યુઆરીના રોજ અંબાજીની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત પોષી પુનમની શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને વહેચવામાં આવે છે. આ પૂનમને સુખડી પૂનમ, શાકમ્બરી પૂનમ પણ કહે વાય છે. આ દિવસે માં ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હોવાથી શાકનો શણગાર કરવામાં આવે છે. પોષ મહિનાની ગુપ્ત નવરાત્રી આઠમથી પૂનમ સુધી માતાની આરાધના કરવામાં આવે છે.