વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. આઈપીએલને લઈને અત્યારથી જ ક્રિકેટરસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વખતે આઈપીએલની ઘણી ટીમોમાં મોટા ફેરફારો જોવા મળવાના છે. ત્યારે પંજાબ કિંગ્સની ટીમને લઈને પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી આઈપીએલમાં ભાગ લઈ રહી છે પરંતુ ટીમ એક વખત પણ ખિતાબ જીતી શકી નથી.
આ વખતે પંજાબ કિંગ્સે ટ્રોફી જીતવા માટે આઈપીએલ 2025 મેગા ઓક્શનમાં શ્રેયસ અય્યરને 26.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે. ત્યારથી લોકોને લાગી રહ્યું હતુ કે, તે પંજાબ કિંગ્સનો કેપ્ટન બનશે. સલમાન ખાન દ્વારા હોસ્ટ શો બિગ બોસ 18 સીઝનમાં મહેમાન તરીકે શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ અને શશાંક સિંહ આવ્યા હતા. જેમાં સલમાન ખાને આ વાતની પુષ્ટિ કરી કે,અય્યર જ પંજાબ કિંગ્સનો કેપ્ટન હશે. ત્યારબાદ પંજાબની ટીમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી શ્રેયસ અય્યરને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી.
શ્રેયસ અય્યરે અત્યારસુધી આઈપીએલની 70 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં તેમણે 38 મેચ જીતી છે અને 29 મેચમાં હાર મળી છે. અય્યર આઈપીએલનો પહેલો એવો કેપ્ટન છે. જેમણે 2 ટીમ દિલ્હી કેપિટલ્સ અને કોલકત્તા નાઈટરાઈડર્સની પોતાની કેપ્ટનશીપમાં ફાઈનલમાં લઈ જઈ ચૂક્યો છે.હવે તેની પાસે જે અનુભવ છે તે પંજાબ કિંગ્સને કામ આવી શકે છે.