ગ્રહોના રાજા સૂર્યદેવના કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરવાની ઘટનાને મકર સંક્રાંતિ કહેવાય છે. જેની ઉજવણી મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ તરીકે કરવામાં આવે છે. પંચાંગ મુજબ આ વર્ષે સૂર્યદેવ 14 જાન્યુઆરી 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણના પાવન દિવસે સ્નાન, દાન પુણ્યનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસથી સર્વ પ્રકારના શુભ અને માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. ભારતીય શાસ્ત્રોમાં દર્શાવ્યા અનુસાર મકર સંક્રાંતિ સુખ, શાંતિ, વૈભવની કારક, પુત્રદાયક, સ્વાસ્થ્યવર્ધકને ઔષધો માટે ગુણકારી માનવામાં આવે છે.
હિન્દુ ધર્મ અનુસાર, મકરસંક્રાંતિનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાની પરંપરા છે. જોકે, દેશના અલગ અલગ ભાગોમાં મકરસંક્રાંતિ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા, સ્નાન અને દાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સૂર્ય દેવની પૂજા અને સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવાના ઘણા ફાયદા છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો કોઈ વ્યક્તિ મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને સૂર્ય દેવને જળ અર્પણ કરે છે, તો વ્યક્તિની કુંડળીમાં હાજર સૂર્ય મજબૂત બને છે.
સંક્રાંતિના દિવસે કરેલું દાન સહસ્ત્રગણું ફળ આપે છે. એવું શાસ્ત્ર વચન છે. શાસ્ત્રાનુસાર ॥ उतरे त्वयने विप्रे, वस्त्र दान महाफलम। तिल पूर्ण मनडवाह, दंत्वा रोगे प्रमुचयाते॥ ઉત્તરાયણના દિવસે તલ ભરેલા વાસણમાં વસ્ત્રનું દાન બ્રાહ્મણને આપવાથી મહાપાપ અને મહાવ્યાધિ તથા રોગ અને ભાઇનો નાશ થાય છે. દૂધની બનાવટો તથા સફેદ ધાન (ચોખા, જુવાર, સફેદ તલ, રાજગરો, સાબુદાણા)નું દાન કરવું શ્રેષ્ઠ છે. દાન બ્રાહ્મણો, સાધુ, સંતો, અન્નક્ષેત્રમાં આપવું. સંક્રાંતિના દિવસે તલ, વસ્ત્ર, ગોળ, વાસણનું દાન આપવું. તલનો હોમ કરવો, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું. આપની સંસ્કૃતિમાં બહેન-દીકરીઓને ખીચડો આપવાની પરંપરા પણ આ પ્રથાને આનુષંગીક જ છે. આ પવિત્ર દિને ગાયોને ઘાસ ચારો નિરવો, ગરીબોને અન્ન ગરમ વસ્ત્ર દાનમાં આપવું, તલનું દાતણ કરવું, તલના તેલનું માલિશ કરવું, તલ અને ગોળ આરોગવા. ઈષ્ટદેવોની સાધના, સ્મરણ અનેકગણું પુણ્ય ફળ આપે છે.