પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે માતા-પિતા તેમને વિદેશ ભણતર માટે મોકલતા હોય છે. ઘણા એવા મા-બાપ છે જેઓ પોતાના બાળક માટે રાત-દિવસ એક કરી દેતા હોય છે જેથી તેઓ ત્યાં સારું ભણતર મેળવી શકે , પણ એ જ માતા-પિતાને જો એવા સમાચાર મળે કે તેમનો બાળક ગુમ થઇ ગયો છે તો? ભારત-કેનેડા તણાવ વચ્ચે, ‘ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા’ (IRCC) ને ટાંકીને એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે જે ચોંકાવનારો છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેનેડા પહોંચેલા લગભગ 20 હજાર ભારતીય વિદ્યાર્થીઓ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી ‘ગુમ’ છે. તેમની કોલેજો કે યુનિવર્સિટીઓમાં તેમને ‘નો-શો’ તરીકે ચિહ્નિત કરવામાં આવે છે. એનો અર્થ એ કે તે ઘણા સમયથી ત્યાં જોવા મળ્યા નથા. આવી સ્થિતિમાં, પ્રશ્નો ઉભા થાય છે કે આ વિદ્યાર્થીઓ ક્યાં ગયા?
ઘણા નિષ્ણાતો માને છે કે મોટાભાગના ગેરહાજર વિદ્યાર્થીઓ કેનેડામાં કામ કરે છે અને કાયમી રહેવાસી બનવાનું સ્વપ્ન જુએ છે.ભારતીય વિદ્યાર્થીઓની ગેરહાજરીના મુદ્દાએ ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું પણ ધ્યાન ખેંચ્યું છે, જે કેનેડાથી યુએસમાં ભારતીયોની દાણચોરીના મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહ્યું છે. ગુજરાતના ડીંગુચા ગામના એક ભારતીય પરિવારના મૃત્યુ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી, જે ગેરકાયદેસર રીતે કેનેડા-યુએસ સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે ભારે ઠંડીને કારણે મૃત્યુ પામ્યો હતો.