૧૪૪ વર્ષ પછી ગ્રહોનો યોગ બનતા પ્રયાગરાજના કુંભમેળામાં રોજ લાખો ભાવિકો પહોંચીને ડુબકી સ્નાન કરી રહયા છે. વિવિધ સંપ્રદાય અને પરંપરાના અખાડાઓ તથા સાધુ સંતો અને અનુયાયીઓ ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક શકિતને ઉજાગર કરી રહયા છે. અનેક જાણીતી હસ્તીઓ કુંભમેળામાં ભાગ લેતી જોવા મળે છે ત્યારે ઘણી બોલિવૂડ હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મમતા કુલકર્ણી પણ મહાકુંભમાં પહોંચી હતી. જોકે, આ અભિનેત્રીએ મહાકુંભમાં સંન્યાસ ધારણ કર્યો છે.
ફેમસ અભિનેત્રીએ મહાકુંભમાં સ્નાન કર્યા પછી સંગમ કિનારે પોતાના પૂર્વજોનું પીંડડાન કર્યુ હતું ત્યાર પછી કિન્નર અખાડાના આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીએ મમતાને દીક્ષા આપી હતી.
સંન્યાસી બન્યા પછી કિન્નર અખાડામાં મહા મંડલેશ્વરનું પદ આપવામાં આવ્યું છે. કિન્નર અખાડામાં મહા મંડલેશ્વર બનનારી મમતા કુલકર્ણીની કિન્નર અખાડામાં પટ્ટાભિષેક વિધી કરવામાં આવી હતી. ચાદરપોશીની વિધી થયા પછી મમતા કુલકર્ણીને નવું નામ શ્રી યામાઇ મમતાનંદ ગિરી આપવામાં આવ્યુ હતું.
મમતા હવે પોતાના સાંસારિક નામના સ્થાને આ નવા નામથી ઓળખાશે. મહત્વનું છે કે ૨૦ એપ્રિલ ૧૯૭૨માં જન્મેલી પૂર્વ એકટ્રેસ અને મોડેલ મમતા કુલકર્ણીએ બોલીવુડમાં ‘તિરંગા’ ફિલ્મથી અભિનયની શરુઆત કરી હતી. ત્યાર બાદ ૧૯૯૩માં ‘વકત હમારા હૈ’, ‘આશિક આવારા’, ૧૯૯૪માં ‘ક્રાંતિવીર’, ૧૯૯૫માં ‘કરન અર્જુન’, ‘સબ સે બડા ખિલાડી’, ‘આંદોલન’, ૧૯૯૬માં ‘ બાઝી’, ૧૯૯૬માં ૧૯૯૮માં ‘ ચાઇના ગેટ’ અને ૨૦૦૧માં ‘છુપા રુસ્તમ’, એ મ્યુઝીકલ થ્રીલર વગેરે જાણીતી ફિલ્મોનો સમાવેશ થાય છે.