કરોડો હિન્દુઓના આરાધ્ય મહાદેવની કૈલાસ માનસરોવર યાત્રા ભારત અને ચીન વચ્ચે ડોકલામ ઘર્ષણ બાદ બંધ કરી દેવામાં આવી હતી. જોકે ચીને હવે ભારત સાથેના સંબંધો સુધારવાની શરૂઆત કરી છે એના ભાગરૂપે પાંચ વર્ષથી બંધ કૈલાસ માનસરોવરની યાત્રા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી આ વર્ષે ઉનાળામાં દેવાધિદેવનાં દર્શન કરવાનો લાભ હિન્દુઓને મળશે.
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ભારત અને ચીને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત અને ચીન સંબંધોને સ્થિર કરવા અને પુનઃનિર્માણ કરવા માટે કેટલાક લોકો-કેન્દ્રિત પગલાં લેવા માટે પણ સંમત થયા છે. ભારત અને ચીન લોકો-થી-લોકોના સંબંધોને વધુ પ્રોત્સાહન આપવા અને સુવિધા આપવા માટે યોગ્ય પગલાં લેવા સંમત થયા છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઑક્ટોબર મહિનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કજાનમાં મળ્યા હતા ત્યારે બન્ને નેતાઓએ સંબંધોની સ્થિતિ પર ચર્ચા કરી હતી અને સંબંધો સુધારવા હકારાત્મક વલણ અપનાવ્યું હતું.