નસકોરાની સમસ્યાએ એક કોમન સમસ્યા છે. એક રીતે જોવા જઈએ તો આ કોઈ બીમારી નથી. પણ હાં, આ આગળ જતાં બીમારીના સંકેત જરૂર આપે છે. ઘણાં લોકોને સુતાની સાથે જ નસકોરાનો અવાજ શરૂ થઈ જાય છે. ઘણાં લોકોનો નસકોરાના અવાજ ખુબ મોટેથી આવતો હોય છે. જેને કારણે આવા લોકો ઉપરાંત તેમના પાર્ટનર અને તેમના ઘરના લોકો પણ પરેશાન રહેતા હોય છે.આ સમસ્યા વધી રહી છે. નસકોરાંને કારણે લગ્નો પણ તૂટી ગયાં હોય એવા મામલા નોંધાયા છે. પણ તમને ખબર છે કે ઊંઘ દરમિયાન લોકો નસકોરાં કેમ બો઼લવા લાગે છે?
મોટાભાગના લોકો એવું માનતા હોય છેકે, ખુબ ઊંઘ આવે અથવા ખુબ થાક લાગ્યો હોય ત્યારે સુતી વખતે નસકોરાનો અવાજ આવે છે. જોકે, વાસ્તવિકતા એનાથી જુદી છે. ખરેખરમાં ઊંઘતી વખતે જ્યારે આપણે શ્વાસોચ્છવાસ કરીએ છીએ ત્યારે ગરદન અને માથા વચ્ચેના સૉફ્ટ ટિશ્યૂમાં કંપારી ઉદ્ભવે છે. જેના કારણે નસકોરાં બોલે છે. આ સૉફ્ટ ટિશ્યૂ નાક, ટૉન્સિલ અને મોઢાના ઉપરના ભાગમાં હોય છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ, ત્યારે હવાનો જવાનો રસ્તો આરામની સ્થિતિમાં હોય છે. ત્યારે હવાની અવરજવર માટે જોર લગાવવું પડે છે, જેના કારણે સૉફ્ટ ટિશ્યૂમાં કંપન પેદા થાય છે.આના બીજા પણ ઘણા કારણો છે. મેદાસ્વીપણાને લીધે પણ નસકોરા બોલે છે. એ સિવાય પીઠ પર સીધા સુવાથી પણ નસકોરાનો અવાજ આવે છે.
નસકોરાં રોકવાં માટે શું કરી શકાય?
દારૂ પીવાને લીધે ઊંઘ દરમિયાન માંસપેશીઓ વધારે રિલેક્સ થઈ જાય છે અને તેના કારણે ઍર-વે વધુ સંકુચિત થઈ જાય છે. એવામાં સલાહ આપવામાં આવે છે કે ઊંઘતાં પહેલાં દારૂ પીવાનું ટાળવું જોઈએ.
જો તમે પીઠ પર બળ આપીને સુતા હશો તો પણ નસકોરાનો અવાજ આવશે. તમારે પડખુ ફરીને સુવાની આદત પાડવી પડશે.
તમે સુઈ જાવ તે પહેલા થોડા ટીપા મધ તમારા મોઢામાં મૂકો અને પછી સુઈ જાવ. નસકોરા ગાયબ થઈ શકે છે.
બજારમાં એવાં ઘણાં ઉત્પાદનો ઉપ્લબ્ધ છે, જે નસકોરાં રોકવામાં મદદ કરી શકે છે.નાક પર લગાવવામાં આવતી પટ્ટીઓ પણ કંઈક આવું જ કામ કરે છે.