અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા લોકોને પોતા-પોતાના દેશ તગેડી મૂકવાનું શરૂ કરી દીધું છે ત્યારે 104 ભારતીયોને લઈને પહેલું વિમાન ગઈકાલે જ અમૃતસર આવી પહોંચ્યું હતું. જેમાં 37 જેટલાં ગુજરાતીઓ હતા. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, ગાંધીનગર, ખેડા, આણંદ અને બનાસકાંઠા જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે.
જોકે, પાછા ધકેલાયેલા લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવનાર સંભવિત પુછપરછમાં કબુતરબાજીની ચોંકાવનારી હકિકતનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે. ગુજરાતમાં 37 વ્યક્તિઓ પૈકી 17 તો ગાંધીનગર જિલ્લાના માણસા અને કલોલ તાલુકાના વતની છે. મોટાભાગના વ્યક્તિઓના પરિચિત અથવા તો સગાઓ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. જેમની પ્રગિતિ જોઈને આ લોકોએ પણ અમેરિકા જવાનું પસંદ કર્યું હતું અને તે માટે જમીન વેચી તેમજ દેવું કરી એજન્ટ્સને પૈસા આપી અમેરિકા પહોંચ્યા હતાં.
પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલ.સી.બી. કચેરીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે.