ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સંચાર સાથી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે, જે શંકાસ્પદ કપટપૂર્ણ સંદેશાવ્યવહારની જાણ કરવાનું સરળ બનાવવા માટે રચાયેલ છે. આ એપ સામાન્ય લોકોને તેમના મોબાઇલ ફોનના કોલ લોગમાંથી સીધા જ આવા કેસોને ફ્લેગ કરવાની અને રિપોર્ટ કરવાની મંજૂરી આપે છે. પહેલા ફક્ત સંચાર સાથી વેબસાઇટ દ્વારા જ ફરિયાદો કરી શકાતી હતી, પરંતુ હવે કોઈપણ પ્રકારના કૌભાંડ અને છેતરપિંડીની ફરિયાદો મોબાઇલ એપ દ્વારા પણ નોંધાવી શકાય છે. નવી મોબાઇલ એપ્લિકેશન આ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે, ગ્રાહકો માટે સલામત અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરશે.
દેશના ૧૨૦ કરોડ મોબાઇલ યૂઝર્સને સંચાર સાથી પૉર્ટલનો લાભ મળશે. મોબાઇલ યૂઝર્સ તેમના સ્માર્ટફોનથી જ નકલી કૉલ્સ અને મેસેજોની જાણ કરી શકશે. સંચાર સાથી પૉર્ટલ સરકાર દ્વારા 2023 માં શરૂ કરવામાં આવ્યું હતું. આ પૉર્ટલ દ્વારા નકલી કૉલ્સ અને મેસેજની જાણ કરવા ઉપરાંત વ્યક્તિ ખોવાયેલા મોબાઇલ ફોનનો IMEI પણ બ્લૉક કરી શકે છે અને તેના આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઇલ નંબર પણ ચકાસી શકે છે. યૂઝર્સને હવે આ બધી સુવિધાઓ મોબાઇલ એપ દ્વારા મળશે. કેન્દ્રીય મંત્રીએ ભારતના વધતા ડિજિટલ અર્થતંત્રમાં મોબાઇલ યૂઝર્સના યોગદાનનો ઉલ્લેખ કર્યો. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત મિશનમાં ટેકનોલોજીના યોગદાન વિશે વાત કરવામાં આવી છે. સરકાર દ્વારા શરૂ કરાયેલા નેશનલ બ્રૉડબેન્ડ મિશન 2.0 દ્વારા દેશભરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધુ સુધારો કરવામાં આવશે.