મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આજે જ તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારબાદ તેમણે સીએમ પદેથી રાજીનામું આપી દીધું છે. મણિપુરમાં થયેલી હિંસાને લઈને વિપક્ષી પાર્ટીઓ સતત કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધી રહી છે. એન બિરેન સિંહે અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે, જે સ્વીકારવામાં આવ્યું છે. તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે.
છેલ્લા ઘણા સમયથી બિરેન સિંહ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ હતા. મણિપુરમાં ભાજપના 19 ધારાસભ્યોએ બિરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ઓક્ટોબર-2024માં માંગ કરી હતી અને તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં વિધાનસભાના અધ્યક્ષ થોકચોમ સત્યવ્રત સિંહ, મંત્રી થોંગમ વિશ્વજીત સિંહ અને યુમનામ ખેમચંદ સિંહનું નામ સામેલ છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, મણિપુરના લોકો ભાજપ સરકારને સવાલ કરી રહ્યા છે કે, રાજ્યમાં હજુ સુધી શા માટે શાંતિ સ્થાપવામાં આવી નથી. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ધારાસભ્યો રાજીનામા આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. ત્યારે આખરે આજે તેમણે પોતાના પદથી રાજીનામું આપ્યું છે.