કટકમાં રમાયેલી બીજી વન-ડેમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવતા સાથે સિરીઝ પણ 2-0થી પોતાના નામે કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની જીતનો સૌથી મોટો હીરો રોહિત શર્મા રહ્યો, જેણે 90 બોલમાં 119 રનની શાનદાર અને યાદગાર ઇનિંગ રમી હતી.રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલે પણ અડધી સદી ફટકારી હતી. કટકના બારાબતી મેદાનમાં રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 304 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને બેન ડકેટે અડધી સદી ફટકારી હતી જ્યારે છેલ્લી ઓવરોમાં લિયામ લિવિંગસ્ટોને પણ 41 રનની શાનદાર ઈનિંગ રમીને પોતાની ટીમના સ્કોરને 300 રનથી આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ભારત તરફથી બોલિંગમાં રવિન્દ્ર જાડેજાએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરીને 3 વિકેટ ઝડપી હતી. 305 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે રોહિત શર્મા અને શુભમન ગીલે ટીમને તોફાની શરૂઆત અપાવી હતી. રોહિતે 119 જ્યારે ગિલે 60 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત શ્રેયસ અય્યરે 44 અને અક્ષર પટેલે 41 રન ફટકાર્યા હતા. આમ ભારતીય ટીમે 44.3 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 305 રનનો લક્ષ્યાંક હાંસલ કરી મેચ જીતી લીધી હતી.