ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માની આજે જયંતિ છે. દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એંજિનિયરના રુપમાં પુજાય છે. હિન્દુ ધર્મ મુજબ વિશ્વનું નિર્માણ કાર્ય ભગવાન વિશ્વકર્માએ કર્યું છે. દ્વારકાધીશની દ્વારકા, ઇન્દ્રનો સ્વર્ગલોક સહિત વિશેષ રચનાઓ ભગવાન વિશ્વકર્માએ જ કરી છે. કહેવાય છે કે, ભગવાન વિશ્વકર્માએ જ ભગવાન શિવને ત્રિશૂળ અને કૃષ્ણને સુદર્શન ચક્ર બનાવી આપ્યા હતા.
આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય એવા ભગવાન વિશ્વકર્માની જન્મ જ્યંતિ કારીગર વર્ગ માટે ખાસ મહત્વ ધરાવે છે. ભગવાન વિશ્વકર્માએ વિશ્વ કલ્યાણ માટે અનેક અવતાર ધારણ કરેલા હોવાનું માનવામાં આવે છે. નરનારાયણથી વિશ્વકર્માના દસ અવતાર થયા હોવાનું માનવામાં આવે છે. મહાભારત અનુસાર તેઓ લાવણ્યમયીના ગર્ભમાંથી જનમ્યા હતા જ્યારે પ્રભાસમાં સોમનાથથી પ્રગટ થયા ત્યારે તેમનો બીજો અવતાર હોવાનું માનવામાં આવે છે. દેવોને સંતુષ્ટ કરવા માટે પ્રગટ થયા હોવાથી ભગવાન વિશ્વકર્મા ત્વષ્ટા તરીકે પણ ઓળખાય છે.
અસ્ત્ર શસ્ત્રમાં પારંગત ભગવાન વિશ્વકર્મા
કહેવાય છે કે, ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે. પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે.