પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો. આ હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે, આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કાફલાને 200 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે નિશાન બનાવ્યું હતું.
આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે 35 ઘાયલ થયા હતા. CRPFના કાફલામાં 78 વાહનો હતા, જેમાં 2500થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા.જોકે, આ હુમલા બાદ ભારતે જે રીતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો તે પણ આક્રમક હતો. ભારતે આકરા પગલા લઈને પુલવામા હુમલાનો બદલો લીધો હતો. બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઈકના રૂપમાં આપણા બહાદુર જવાનોએ આ હુમલાનો જવાબ આપ્યો હતો. ભારતે પાકિસ્તાનના ધરમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. પુલવામા હુમલામાં શહીદ થયેલા બહાદુર સીઆરપીએફના જવાનોની યાદમાં ભારતીયો દ્વારા 14 ફેબ્રુઆરીને ‘બ્લેક ડે’ તરીકે મનાવવામાં આવે છે, ઉલ્લેખનીય છે કે હુમલા બાદ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર સહિતના આતંકીઓ આ હુમલાના માસ્ટરમાઇન્ડ હોવાનું બહાર આવ્યું હતું.