શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર રાત્રિના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સ્ટેશન પર અચાનક ભારે ભીડ થઈ જતા સ્થિતિ વણસી હતી. જેના પગલે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 12-16 પર મહાકુંભ જવા માટે ભારે ભીડ એકઠી થવાને કારણે નાસભાગ થઇ હતી. દુર્ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડથી વ્યથિત છું. મારી સંવેદનાઓ એ તમામની સાથે જેમણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થઈ જાય. અધિકારીઓ એ તમામની મદદ કરે જે લોકો આ ભાગદોડમાં પ્રભાવિત થયા છે. બીજીબાજુ આ દુર્ઘટના સર્જાવાને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી છે.