નાસાના અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર આઠ મહિના વિતાવ્યા બાદ આખરે 19 માર્ચે પૃથ્વી પર પરત ફરે તેવી અપેક્ષા છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ગત વર્ષે ગયેલા ભારતીય મૂળના અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને હજી સુધી ધરતી ઉપર પરત લાવી શકાયા નથી.
તાજેતરમાં નાસાએ જાહેરાત કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં તેમને ધરતી ઉપર પરત લાવી દેવાશે. બંને અવકાશયાત્રીઓને ડ્રેગન ક્રૂ કેપ્સ્યૂલ મારફતે પૃથ્વી પર પરત લાવવામાં આવશે. સ્પેસ એક્સ દ્વારા ડ્રેગન ક્રૂ નામની ખાસ કેપ્સ્યૂલ તૈયાર કરાઈ છે. આ એક એવું અંતરિક્ષ યાન છે જે એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ છે. તેને ફાલ્કન-9 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. તેમાં એક સાથે સાત અંતરિક્ષયાત્રીઓ બેસી શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ કેપ્સ્યૂલ રિયુઝેબલ છે તેથી વારંવાર વિવિધ મિશનમાં તેનો ઉપયોગ કરી શકાય તેમ છે. ISS પરથી આપેલા એક ઇન્ટરવ્યુમાં સુનિતા અને વિલ્મોરે પુષ્ટિ કરી હતી કે ક્રૂ-10 મિશન 12 માર્ચે પૃથ્વી પરથી લોન્ચ થવાનું છે અને એક અઠવાડિયા પછી 19 માર્ચે તેમને લઈને પરત ફરશે.