એક જમાનામાં બે ભારેખમ પથ્થરોથી બનેલી ઘંટીઓ હાથેથી ફેરવીને લોકો અનાજ દળતા હતા. ત્યાર બાદ ઇલેકટ્રીક મોટરવાળી ફલોર ફેકટરીઓ આવી જેમાં એક કલાકમાં આઠથી દસ મણ અનાજ દળી શકાય છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે અનાજ દળવાની ઘંટીઓ પાણીથી પણ ચાલતી હતી એટલું જ નહી પાણીના પ્રવાહ વડે ચાલતી અનાજ દળવાની પણ ઘંટી ભારતમાં આવેલી છે. પાણીથી ચાલતી ચક્કીઓ બ્રિટિશ રાજના છેલ્લા પ્રોજેક્ટોમાંની એક છે જે હજી પણ ચાલે છે.આ ચક્કીએ હજી પણ લોકો અનાજ દળવા માટે આવે છે.ઇ.સ. 1892માં બ્રિટિશ સરકારે રજવાડાં સાથે કરાર કર્યા હતા, જે પછી પાણીના વિતરણ માટે નહેરોનું નેટવર્ક પાથરવામાં આવ્યું હતું અને નહેરો પર આ ચક્કીઓ બનાવવામાં આવી હતી. પાણીના પ્રવાહ વડે ચાલતી ભારતની અનાજ દળવાની ઘંટી હરિયાણાના કેથળ જિલ્લામાં તેમજ સંગરુરના દિરબા મત વિસ્તારના સુલેર ઘરત ગામમાં સરહદ ફીડર કેનાલ પર બાંધવામાં આવેલી છે.
ચક્કીની છે આ ખાસિયત
લગભગ એક સદી પછી પણ પાણીથી ચાલતી ચક્કીઓ હજી પણ તેમના ઇતિહાસનો પુરાવો આપી રહી છે.આ ચક્કીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં પીસાએલો લોટ જરાંય ગરમ થતો નથી.આમ તો પાણીથી ચાલતી આવી ચકકીઓ ખૂબ જોવા મળતી હતી પરંતુ હાલમાં પણ ચાલું હોય તેવી એક માત્ર વોટર ફલોર મીલ છે.આ ચક્કી એક નહેર પર બનેલી છે જયારે નહેરમાં પાણી ચાલે છે ત્યારે પાણીના બળથી ચક્કી પણ ચાલવા લાગે છે.આની કાર્ય રચના ટર્બાઇન પ્રકારની છે. લોખંડના પંખા પર પાણી નાખવામાં આવે ત્યારે તેના પાંખીયાઓ ફરવા લાગતા ચક્કી શરુ થાય છે.
આ વિસ્તારમાં ૧૦૦ વર્ષથી પણ જુની એવી પાણીથી ચાલતી ૫ પાણીની ચક્કીઓ છે. એક ચક્કીમાં કલાકે ૧૦૦ કિલો અનાજ દળાય છે. આ ચક્કીઓ હરીયાણા રાજયના સિંચાઇ વિભાગ હસ્તક આવે છે. આથી દર વર્ષે ચકકીઓ ચલાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવે છે. જે વ્યકિત આવે તે પોતે જ જાતે અનાજ દળી લે છે. સમગ્ર ધંધો ઇમાનદારીથી ચાલે છે.