26મી ફેબ્રુઆરીએ અમદાવાદનો(Ahmedabad)સ્થાપના દિવસ છે અને મહાશિવરાત્રિ પર્વ પણ છે. ત્યારે આજે અમદાવાદ તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 26મી ફેબ્રુઆરી 1411માં અહમદશાહે માણેક બુરજ પાસે ઇંટ મુકીને અમદાવાદની સ્થાપના કરવામાં આવી હતી. આજના દિવસે માણેક બુરજના વંશજો દ્વારા માણેકનાથ મંદિર પર ધજા ચડાવી આરતી કરવામાં આવે છે. 6 સૈકાથી વધુના સમયમાં અમદાવાદની ઓળખ બદલાતી ગઈ છે. એક સમયે પોળો અને દરવાજા માટે જાણીતું અમદાવાદ આજે હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે. એક સમયે કાંકરિયા-લક્કડિયો પુલ અમદાવાદની ઓળખ ગણાતા અને આજે હવે રિવરફ્રન્ટ-અટલ બ્રિજ અમદાવાદના નવા લેન્ડમાર્ક બન્યા છે. મિલોના માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ આજે મોલ કલ્ચરમાં તબદીલ થયું છે.
અમદાવાદ શહેરની સ્થાપના સમયથી અત્યાર સુધી એક પ્રચલિત કહેવત છે કે
“જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહ ને યહ નગર બસાયા”
આ કહેવતનો ઇતિહાસ આવો છે કે…બાદશાહ અહમદશાહ રાજધાની ની શોધમાં હતા અને જ્યારે તેઓએ કર્ણાવતી નગર (હાલનું અમદાવાદ) ઉપર સસલા ને કૂતરા પાછળ દોડતું જોઈ વિરભૂમી તરીકે રાજધાની માટે પસંદ કર્યું. અહમદશાહ એ સરખેજ ના સંત શેખ અહમદ ખટ્ટુગંજ બક્ષ ની સલાહથી સાબરમતી નદીના કિનારે શહેર આબાદ બને અને તેના નામ પરથી અહમદાબાદ ની 26 ફેબ્રુઆરી 1411 ના રોજ સ્થાપના કરી આ સાથે અહમદશાહે રાજધાની પાટણ થી અહમદાબાદ સ્થળાંતરિત કરી જેને હાલ અમદાવાદ તરીકે ઓળખવામાં આવે છે.
માણેક બુરજનો ઇતિહાસ
અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા માણેક બુરજના ઇતિહાસ પાછળ એક દંતકથા જોડાયેલી છે. અમદાવાદના ઇતિહાસમાં માણેકનાથ બાબાનું વિશેષ મહત્વ છે. આજે ખાણીપીણી માટે ફેમસ માણેકચોકનું નામ પણ ખાસ કારણથી પાડવામાં આવ્યું છે.
બાબા માણેકનાથ પોતાના ચમત્કારને કારણે જાણીતા હતા. લોકો તેમને ગોદડિયા બાવા’ તરીક પણ ઓળખતાં હતા. અહેમદશાહ બાદશાહે શહેરમાં કોટ બનાવની કામગરી શરૂ કરી હતી. બાદશાહની શાન ઠેકાણે લાવવા માટે બાબા માણેકનાથ દરરોજ આખો દિવસ એક ગોદડી બનાવે અને તેમાં દોરા ભરે, ત્યારબાદ રાત પડે એટલે તે ગોદડીના દોરા કાઢી નાખે એટલે બાદશાહે ચણેલી દિવાલો પડી જાય.
આવું લાંબો સમય સુધી ચાલ્યું. કંટાળીને બાદશાહે ચમત્કારી માણેકનાથ બાબાને શોધી કાઢ્યા અને તેમને પૂછ્યું કે તમે આવું કેમ કરી રહ્યા છે અને બીજા તમે શું-શું ચમત્કાર કરી શકો છો? માણેકનાથ બાબા કે કહ્યું કે હું નાળચાવાળા લોટાના મોંઢેથી અંદર પ્રવેશ કરું અને નાળચામાંથી બહાર નીકળી શકું છું. આ ચમત્કાર બતાવવા માટે તેઓ જેવા લોટામાં દાખલ થયા તો બાદશાહે કોઢાને મોંઢે તથા નાળચે બંધ કરી દીધો. ત્યારબાદ માણેકનાથ બાબાએ કહ્યું ‘મને તું નીકળવા દે અને હું તારો કોટ નહીં પાડી નાંખું, પણ મારું નામ રહે એવું કરજે’. બાદશાહે તેમને વચન આપ્યું અને તે પ્રમાણે બાદશાહે કોટ ચણવાની શરૂઆત કરી અને ગણેશબારી પાસે એલિસબ્રિજના છેડે બુર્જનું નામ ‘માણેક બુર્જ ‘ પાડ્યું.