આજે હોળી છે ત્યારે મોટા ભાગના લોકો સાંજના સમયે હોળીદહન કરીને પૂજા કરે છે. જોકે આજે સવારના ૧૦.૩૮ વાગ્યાથી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી ભદ્રાની છાયા છે, જેનું મુખ પૃથ્વીલોક તરફ હોવાથી આ સમય અશુભ હોવાનું શાસ્ત્રીઓનું કહેવું છે. આવા સમયે હોલિકાદહન કે પૂજા કરવાથી ફાયદો થવાને બદલે અહિત થાય છે. આથી શાસ્ત્ર મુજબ આજે રાત્રે ૧૧.૩૦ વાગ્યા પછી જ હોલિકાદહન અને હોળીની પૂજા કરવી યોગ્ય રહેશે.
હોળી પ્રગટાવવાનો શુભ સમય કેટલા વાગ્યાનો છે?
પૂનમની તિથિનો પ્રારંભ 13 માર્ચ, ગુરુવાર સવારે 10.35 કલાકે થશે. પૂનમની તિથિની 14 માર્ચ, શુક્રવાર બપોરે 12.23 કલાકે સમાપ્ત થશે. દર વર્ષે સંધ્યા સમયે હોળીઓ પ્રગટાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે સાંજે હોળી પર ભદ્રાનો ઓછાયો રહેશે. એટલા માટે આ સમયે પૂજા કરી શકાશે, પરંતુ હોળીકા દહનનો શુભ સમય રાત્રે 11.26થી 12.30 વાગ્યા સુધીનો રહેશે.
ભદ્રાની છાયા એટલે શું?
શાસ્ત્ર મુજબ ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિની બહેન છે. ભદ્રાનું મુખ જે તરફ હોય એ બાજુએ એની અસર જોવા મળે છે. કુંભ, મીન, કર્ક અને સિંહ રાશિમાં ચંદ્ર હોય ત્યારે ભદ્રાનું મુખ પૃથ્વીલોક તરફ હોય છે. આજે સવારના ૧૦.૩૮થી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી ભદ્રાની છાયા રહેશે. આપણે પૃથ્વીલોકમાં છીએ અને હોળી પણ આ જ લોકમાં પ્રગટાવવામાં આવશે. આથી ભદ્રાની છાયા હોય એવા સમયે હોળી પ્રગટાવવામાં આવે તો જીવાત્માની હાનિ થાય છે. એની અસર આપણને પણ થાય છે અને આપણું અહિત થાય છે. ઘરમાં અશાંતિ રહે છે કે આર્થિક નુકસાન થઈ શકે છે. ભદ્રાની છાયા પૂરી થયા બાદ હોળી પ્રગટાવીને પૂજા કરવાથી એનું યોગ્ય ફળ મળશે. ભદ્રાનું મુખ પાતાળ કે સ્વર્ગલોક તરફ હોય ત્યારે એ આપણા માટે પણ અશુભ નથી રહેતી