વિશ્વભરમાં હ્દયની બીમારી ઝડપથી વધી રહી છે. એનાથી થતા સૌથી વધુ મોત ભારતમાં થાય છે. દેશમાં થનારા કુલ મોતોમાંથી દરેક ત્રણમાંથી એક વ્યક્તિ હ્દયરોગનો દર્દી હોય છે. એ દરમ્યાન ચીની વૈજ્ઞાનિકોએ એક એવી રસી બનાવી છે જે સ્ટ્રોક અને હાર્ટ એટેકને અટકાવી શકે છે.
રક્તવાહિનીમાં બ્લડ ક્લોટ્સ થવાથી સ્ટ્રોક્સ અને હાર્ટ અટેક આવે છે, એના સામે આ વેક્સિન રક્ષણ આપશે. નેન્ઝિંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના વિજ્ઞાનીઓ દ્વારા આ વેક્સિન વિકસિત કરવામાં આવી છે. ઉંદર પર કરાયેલ પ્રયોગમાં બ્લડ ક્લોટ્સ, સ્ટ્રોક્સ અને હાર્ટ અટેકનું પ્રમાણ આ વેક્સિનના કારણે ખૂબ જ ઓછું જોવા મળ્યું. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ઉંદર પર આ વેક્સિને શ્રેષ્ઠ પરિણામ આપ્યા છે. આ વેક્સિન હાર્ટ અટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપશે અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે પણ લાભદાયી સાબિત થશે.
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર દર 34 સેકન્ડે એક વ્યક્તિ હૃદયરોગથી મૃત્યુ પામે છે. આ જ કારણ છે કે સ્ટ્રોક અને હાર્ટ એટેકને રોકવા માટે ચીની વૈજ્ઞાનિકો દ્વારા વિકસાવવામાં આવેલી રસીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે જો તે સફળ થાય તો હૃદયરોગથી થતા મૃત્યુ ઘટાડી શકાય છે.