ગાંધીનગર અને આસપાસના શહેરના નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ લાવવાના હેતુસર ગત 15 માર્ચના રોજ અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ જે.બી. ઓડીટોરિયમ, એએમએ ખાતે કેન્સર જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૨૫૦ થી વધુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ અભિયાનમાં ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર અને એચપીવી વેક્સીન (ગર્ભાશયના મુખના કેન્સરની રસી) જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો. પાર્થ ગોલ (ગાયનેકોલોજીસ્ટ), જીયા શૈલેષ (મેનેજીંગ ડાયરેક્ટર, જે.કે. મોટર્સ) અને ડો. કાજલ શાહ (બાળકોના રોગોના નિષ્ણાત, શૌર્ય હોસ્પિટલ) મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સમજૂતી આપી હતી.આ ઉપરાંત, ડો. ગૌરી શર્મા (હોમિયોપેથી), ડો. નીતિન શર્મા (રોબોટિક હેડ એન્ડ નેક સર્જિકલ ઓન્કોલોજિસ્ટ), ડો. ભવસિંહ વી. પરમાર (ફિઝિશિયન), ડો. જાસ્મીન સિંઘ (એનેસ્થેસિયોલોજી), ડો. દેનીશા કલોત્રા (ગાયનેકોલોજી), ડો. હિતેશ માહિડા (સ્પાઇન સર્જન, પીડિયાટ્રિક ન્યુરો સર્જન) અને ડો. કોમલ ગોલ (ગાયનેકોલોજી) જેવા અનુભવી ડોકટરોએ પણ પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહીને કેન્સર સંબંધિત વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો.
આ કાર્યક્રમમાં કેન્સરના જોખમી પરિબળો, પ્રારંભિક લક્ષણો, નિદાનની પદ્ધતિઓ અને સારવાર વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, કેન્સરની રોકથામ માટેનાં પગલાં અને સ્વસ્થ જીવનશૈલી અંગે પણ જાગૃતિ કેળવવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ કેન્સર વિશેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો અને લોકોને સમયસર નિદાન અને સારવાર માટે પ્રોત્સાહિત કરવાનો છે. પ્રારંભિક તબક્કે કેન્સરનું નિદાન થાય તો તેની સારવાર સરળતાથી શક્ય બને છે અને દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે