સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસમાં સીબીઆઈ દ્વારા ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. લગભગ 4 વર્ષ 4 મહિના પછી CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીનચીટ આપી છે. સીબીઆઈની તપાસ મુજબ સુશાંત સિંહ રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી.સુશાંતના પિતા દ્વારા રિયા ચક્રવર્તી પર લગાવવામાં આવેલા આરોપો અને રિયા દ્વારા સુશાંતના પરિવાર પર લગાવવામાં આવેલા આરોપોને લઈને બંને કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ સુશાંતનો કેસ સંભાળ્યો અને ઓગસ્ટ 2020માં તપાસ શરૂ કરી હતી. 4 વર્ષની તપાસ બાદ CBIએ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. રિપોર્ટ્સ અને સૂત્રોના મતે રિયા અને તેના પરિવારને ક્લીનચીટ આપવામાં આવી છે. સુશાંતને આપઘાત કરવા માટે કોઈએ મજબૂર કર્યો હોવાનું સાબિત કરવા માટે સીબીઆઈને કોઈ પુરાવા મળ્યા નથી.
મહત્વનું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂન, 2020ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરમાં મળી આવ્યો હતો. પહેલી નજરે આ કેસ આત્મહત્યા જેવો લાગતો હતો, પરંતુ બાદમાં કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.નોંધનિય છે કે, સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તી અને અન્ય લોકો વિરુદ્ધ પટનામાં FIR નોંધાવી હતી, જેમાં તેમના પર આત્મહત્યા માટે ઉશ્કેરણી, છેતરપિંડી, ચોરી અને ગેરકાયદેસર રીતે કેદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, આખરે સીબીઆઈએ આ મામલે અભિનેત્રી રિયાને ક્લીનચીટ આપી છે.