મોંઘવારીનો વધુ એક માર હવે દર્દીઓ પર પડવાનો છે. દેશમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ દવાઓના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર હવે દવાઓના ભાવમાં 1.7 ટકાનો વધારો થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના ભાવમાં વધારાની અસર બે થી ત્રણ મહિના પછી જોવા મળી શકે છે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ છે.
સુત્રોના જણાવ્યા મુજબ, ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) ના જનરલ સેક્રેટરી રાજીવે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું, “કાચા માલ અને અન્ય ખર્ચમાં સતત વધારો થવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી ફાર્મા ઉદ્યોગને રાહત મળી શકે છે.”ફાર્મા ઇન્ડસ્ટ્રીમાંની કંપનીઓ પર ઘણીવાર ઉલ્લંઘનનો આરોપ લાગતા રહે છે. સંસદીય સ્થાયી સમિતિના અહેવાલ પ્રમાણે ફાર્મા કંપનીઓ વારંવાર માન્ય કિંમત વધારાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ 307 કેસોમાં ફાર્મા કંપનીઓને નિયમોને તોડતી શોધી કાઢી છે.