ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીલંકાના 3 દિવસના પ્રવાસે છે. આ સમયગાળા દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે ઘણા કરારો પર હસ્તાક્ષર થયા. આમાં એક ઐતિહાસિક સંરક્ષણ સમજૂતી પણ સામેલ છે. આ પહેલી વાર છે જ્યારે ભારત અને શ્રીલંકાએ સંરક્ષણ ક્ષેત્રમાં આવા કોઈ ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ દરમિયાન શ્રીલંકાના પ્રમુખે વડા પ્રધાન મોદીને આશ્વાસન આપ્યું કે, અમારી સરકાર ક્યારેય પોતાની જમીનનો ઉપયોગ ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ થવા નહીં દેશે. શ્રીલંકાના પ્રમુખના આ નિવેદનથી ભારતની સૌથી મોટી ચિંતા દૂર થઈ ગઈ છે. કારણ કે, આ નિવેદનને ચીનના વધતા પ્રભાવ અને રોકાણ અંગે ભારતની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત બંને દેશો વચ્ચે માહિતી ટેકનોલોજી, ઉર્જા ક્ષેત્રે પણ કરાર થયા છે. આ દરમિયાન શ્રીલંકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિત્ર વિભૂષણ મેડલથી સન્માનિત કર્યા છે. શ્રીલંકાની સરકારે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સારા કરવા અને પરસ્પર સંયુક્ત સાંસ્કૃતિક વારસાને આગળ વધારવા માટે પીએમ મોદીને સન્માનિત કર્યા છે.