આજે રામનવમીને લઈ અયોધ્યા સહિત દેશભરમાં આનંદનો અવસર જોવા મળી રહ્યો છે. રવિવાર સવારથી રામ મંદિર સંકુલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બપોરે 12 વાગ્યે ભગવાન રામલલ્લાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણપ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ બીજું સૂર્ય તિલક છે. અભિજિત મુહૂર્તમાં બપોરે 12 વાગ્યે રામલલ્લાના સૂર્ય તિલક દરમિયાન તેમના કપાળ પર 4 મિનિટ સુધી કિરણો પડ્યા હતા, આ વીડિયો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ આહ્લાદક નજારાથી રામભક્તો ભક્તિમય બન્યા હતા. આ પહેલા રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવી હતી. જ્યારે સવારે 9:30 વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવ્યો હતો. રામનવમીને લઈને રામલલાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.