ક્રિકેટ રસિકોનો પ્રેમ અને ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને ધ્યાનમાં લેતાં મુંબઈ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે સ્ટેન્ડ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ની ૮૬મી વાર્ષિક જનરલ મીટિંગમાં વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટૅન્ડનાં નામકરણ કરવામાં આવ્યાં છે.
વાનખેડે સ્ટેડિયમમાં દિવેચા પૅવિલિયનના ત્રીજા લેવલ (ત્રીજો માળ)ને ભારતના વન-ડે અને ટેસ્ટ-કૅપ્ટન રોહિત શર્મા સ્ટૅન્ડ તરીકે ઓળખવામાં આવશે. આ સિવાય ગ્રૅન્ડ સ્ટૅન્ડના ત્રીજા લેવલને ICCના ભૂતપૂર્વ ચૅરમૅન શરદ પવાર અને ચોથા લેવલને ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન દિવંગત અજિત વાડેકરનું નામ આપવામાં આવશે. મહત્વનું છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારતના પૂર્વ મહાન ક્રિકેટર્સના નામ પર સ્ટેન્ડ છે. જેમાં સચિન તેંદુલકર, સુનીલ ગાવસ્કર બાદ હવે રોહિત શર્માનું નામ જોડવા ભલામણ કરવામાં આવી છે.