ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવે દેશમાં એક નવી ચર્ચા જગાવી છે. ખાસ કરીને જ્યારે વાત દેશની સુરક્ષા અને શહીદોની હોય, ત્યારે લોકો લાલઘૂમ થઈ જાય છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પછી ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આવેલા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા. આ દરમિયાન જ્યારે લગભગ આખી દુનિયાએ ભારતના આ પગલાને સમર્થન આપ્યું, ત્યારે કેટલાક દેશ એવા પણ હતા જેઓ પાકિસ્તાનની સાથે ઊભા હતા.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પાકિસ્તાનને તુર્કી અને અઝરબૈજાને ટેકો આપ્યો હતો. જોકે, હવે તુર્કી અને અઝરબૈજાન સામે ભારતમાં વિરોધ શરૂ થયો છે. પાકિસ્તાનને ડ્રોન મોકલીને મદદ કરવાની ભૂલ હવે તુર્કીને ભારે પડી રહી છે. પૂણેના વેપારીઓએ તુર્કીથી સફરજનની આયાત ન કરવાનો નિર્ણય લીધો હતો.
એટલુ જ નહીં એશિયાના સૌથી મોટા માર્બલ ટ્રેડિંગ સેન્ટર તરીકે જાણીતા ઉદયપુરના વેપારીઓએ તુકી પાસેથી માર્બલની ખરીદી ન કરવાનો નિર્ણય કર્યો છે.
આ કડીમાં મુંબઈના ટુર ઓપરેટરોએ પણ તુર્કીમાં પ્રવાસનું બુકિંગ બંધ કરી દીધુ છે. ટ્રાવેલ કંપનીઓએ તુર્કી અને અઝરબૈજાન પર કડક પ્રતિક્રિયા આપી છે અને આ બંને દેશોને આપવામાં આવતા તમામ પેકેજો સ્થગિત કરી દીધા છે. ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં બંને દેશો જાહેરમાં પાકિસ્તાનને ટેકો આપી રહ્યા છે. EaseMyTrip, Cox & Kings અને Travelint એ રાષ્ટ્રીય ભાવનાને અનુરૂપ તુર્કી અને અઝરબૈજાનમાં બુકિંગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે.