ભારત-પાકિસ્તાન વચ્ચે ‘ઓપરેશન સિંદૂર’ બાદ ઉદ્ભવેલા તણાવપૂર્ણ વાતાવરણે દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ કરવાની જરૂરિયાત દર્શાવી છે. 7 મે, 2025ના રોજ દેશભરના 244 સિવિલ ડિફેન્સ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ગુજરાતના 18 જિલ્લાઓએ પણ ભાગ લીધો હતો. હવે, સીઝફાયર બાદ પણ સતર્કતા જાળવવા, ગુજરાત સહિત પાંચ સરહદી રાજ્યોમાં 31 મે, 2025ના રોજ ફરી સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવાનો નિર્ણય લેવાયો છે. સિવિલ ડિફેન્સ દ્વારા સાંજે 5થી 8 સુધી મોકડ્રિલ યોજવામાં આવશે. લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગૃત કરવામાં આવશે. અગાઉ ભારત સરકારના આદેશ હેઠળ ગુજરાત સહિત કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં 29 મે 2025ના રોજ મોક ડ્રીલ કરવાનું આયોજન કરાયું હતું. પરંતુ આ એક્સસાઇઝ વહીવટી કારણોસર મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ આજે નવી તારીખની જાહેરાત કરી દેવાઈ છે.
અગાઉ ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ગાંધીનગર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં મહેસાણા, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અને નવસારી જિલ્લાનો સમાવેશ કરાયો હતો.
Leave a comment