સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા 26 મે, 2025ના રોજ બે મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી હતી. કોલેજિયમે કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કાર્યરત જસ્ટિસ એન.વી. અંજારિયાને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂંક કરવાની ભલામણ કરી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ ગુજરાતના જસ્ટિસ નિલય અંજારિયા સહિત 3 જજોને સુપ્રીમ કોર્ટના જજ તરીકે શપથ અપાવ્યા હતા.
ગુજરાતના વધુ એક જજની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક સાથે રાજ્ય ન્યાયતંત્રમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મૂળ કચ્છના માંડવીના વતની એન.વી.અંજારિયા સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. જસ્ટિસ નિલયભાઇ અંજારિયા મૂળ માંડવીના નિવાસી છે, તેમના દાદા સુબોધભાઇ અંજારિયા અને પિતા વિપીનભાઇ અંજારિયા માંડવી કોર્ટમાં એડવોકેટ હતા. નિલયભાઇ અમદાવાદ હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યાંથી તેમની નિમણુંક કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે થઇ અને હવે વધારામાં તેઓ સર્વોચ્ચ અદાલતમાં પણ સેવા આપશે.
મહત્વનું છે કે, મૂળ ગુજરાતના કચ્છના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન જજ અને હાલ કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિલય વી. અંજારિયાને રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ આજે સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિજય બિશ્નોઇ અને બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. ચંદુકરને પણ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી અપાઈ છે.