ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ફાઇનલ આજે એટલેકે મંગળવાર, 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે. અમદાવાદમાં ત્રીજી વખત યોજાનારી આ ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) ટાઇટલ માટે ટકરાશે. જે જીતનાર ટીમ માટે પહેલું IPL ટાઇટલ હશે. RCB એ ક્વૉલિફાયર-1 માં પંજાબને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પંજાબે બીજા ક્વૉલિફાયરમાં મુંબઈને હરાવ્યું હતું.આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. નોંધનીય છે કે, IPLની વર્તમાન સિઝનમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો હતો.
વરસાદનું વિઘ્ન આવે તો કેવી રીતે નક્કી કરાશે વિજેતા?
ફાઇનલ મેચમાં જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર ત્રીજી જૂને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને, તો મેચ રિઝર્વ ડે (ચોથી જૂન) પર જશે. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 120 મિનિટનો વધારાનો સમય રાખ્યો છે, જેથી એક દિવસમાં પરિણામ આવી શકે. તેમ છતાં જો પરિણામ ન આવે, તો રિઝર્વ ડેનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ ડે પર, મેચ જ્યાંથી અટકી હતી ત્યાંથી શરૂ થશે. જો વરસાદ રિઝર્વ ડેમાં પણ વિઘ્ન બને છે અને ઓછામાં ઓછી પાંચ ઓવરની રમત શક્ય ન બને, તો ઇન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવર દ્વારા કરી શકાય છે.જો સુપર ઓવર નહીં રમાય તો વિજેતાનો નિર્ણય પોઈન્ટ ટેબલના આધારે કરવામાં આવશે. નોંધનીય છે કે, વર્તમાન સીઝનમાં, પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતું, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજા સ્થાને રહી હતી. એટલે કે, જો મેચ ધોવાઈ જાય, તો પંજાબ કિંગ્સને વિજેતા જાહેર થશે.
ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજિત સમાપન સમારોહ
મહત્વનું છે કે,ફાઈનલ મેચને લઈને જબરદસ્ત ઉત્સાહ ક્રિકેટપ્રેમીઓમાં જોવા મળી રહ્યો છે. આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર આયોજિત સમાપન સમારોહ દેશભક્તિનો સંદેશ આપશે, જેમાં શંકર મહાદેવનનું પર્ફોર્મન્સ ચાહકોને ઉત્સાહિત કરશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 4:30 વાગ્યે પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ થશે, અને 6:00 વાગ્યે સમાપન સમારોહ શરૂ થશે. શંકર મહાદેવન ‘મા તુજે સલામ’, ‘લક્ષ્ય’, અને ‘આઇ લવ માય ઇન્ડિયા’ જેવાં ગીતો રજૂ કરી ઓપરેશન સિંદૂરના શહીદો અને પહલગામ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે. ઇનિંગ્સ બ્રેકમાં લેસર શો અને ગુજરાતી ગરબાનું આયોજન થશે. અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, અને અભિષેક બચ્ચન જેવા બોલિવૂડ સ્ટાર્સની હાજરીની સંભાવના છે.